દુનિયામાં એવા અનેક ખેલાડી છે જેણે પોતાની ક્ષમતાને કારણે ઇતિહાસના પાના પર પર પોતાનું નામ નોંધાવી લીધું છે. રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે એક ભારતના આવા જ એક ખેલાડી વિષે વાત કરી છે જેને હોકી પ્લેયર મેજર ધ્યાનચંદને હોકીના જાદૂગર તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમની ૧૧૬મી જન્મજયંતિ છે. તેમણે પોતાની રમતથી ભારતને ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા હતા અને આ કારણે જ તેમના જન્મદિવસને દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે તરીકે દરેક ભારતીય દિલથી આ દિવસને ઉજવે છે.

   ભારતીય હોકી ટીમની દંતકથા બની ગયેલ કર્નલ ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ના દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગ રાજમાં થયો હતો. આ દિગ્ગજે ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતે ત્રણેય ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે ૪૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા જે પ્રકારે મેજર ધ્યાનચંદએ હોકીમાં જે સિદ્ધિ મેળવી છે તે કારણે જ તે વિશ્વના મહાન રમતવીરોમાં તેમનું નામ અંકિત થયું છે.

આવો નજર નાંખીએ તેમના સાથે જોડાયેલ કેટલી રસપ્રદ વાતો :

   જેમ ક્રિકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્થાન છે તેમ હોકીમાં મેજર ધ્યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે છેલ્લા ૭૫ વર્ષ થવા છતાં ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્યાનચંદ જેવો કોઈ અન્ય ખેલાડી મળેલ નથી  આવો નજર નાંખીએ તેમના સાથે જોડાયેલ કેટલી રસપ્રદ વાતો ઉપર તેમનું નામ પહેલા ધ્યાન સિંહ હતુ અને તેઓ ૧૪વર્ષની ઉંમરમાં જ હોકી રમવા લાગ્યા હતા. તેઓ ચાંદની રોશનીમાં પણ હોકીની પ્રેક્ટિસ કરતા રહેતા હતા. જેના કારણે તેમના નામ પાછળ ચાંદ જોડાઈ ગયું હતું, જે પાછળથી ધ્યાનચંદ થઈ ગયું હતું. તેમના બાળપણમાં રમતવીરના કોઈ વિશેષ લક્ષણ ન હતા. તેમની હોકીના રમતની પ્રતિભા જન્મજાત ન હતી. તમને પોતાની જાતે સતત સાધના, અભ્યાસ, લગન અને સંઘર્ષ અને સંકલ્પના સહારે આ પ્રતિષ્ઠા મેળવી હતી.

   ૧૪ પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો. બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગર ની ગોલયાત્રા.

   ૧૯૨૭માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં ૧૦ મેચમાં કુલ ૭૨ ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે ૩૬ ગોલ એકલા મેજર ધ્યાનચંદ દ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબી પૂર્વક ઉપયોગ કર્યો.

   સેન્ટર ફોરવર્ડના ખેલાડી તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા ભજવતા ૨ ગોલ કર્યા. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. ૧૯૨૮માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જ સાંપડી.

   ૧૯૩૨માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં ૧૯૨૮ની રમતનું પુનરાવર્તન કર્યુ. ભારતે ગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે ૨૪ વિરૂદ્ધ ૧ ગોલથી કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા.

  ભારતીય હોકી ટીમ તરફથી રમતા તેમના ભાઈ રૂપસિંહમાં પણ ધ્યાનચંદની રમતની ઝલક જોવા મળતી હતી. ૧૯૩૨માં ભારતે કરેલા ૩૩૮ ગોલમાંથી ૧૩૩ ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા. ૧૯૩૩માં બેઈટન કપની ફાઈનલ મેચ તેમની હોકી કારકિર્દીની સૌથી યાદગાર મેચ પૂરવાર થઈ. ઝાંસી હિરોઝ અને કલકત્તા કસ્ટમ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ધ્યાનચંદે એકપણ ગોલ ન કર્યો. પરંતુ ઝાંસી હિરોઝનું પ્રતિનિધિત્વ કરતા ધ્યાનચંદે તેમની ટીમ તરફથી થયેલા એકમાત્ર ગોલ માટે બોલને પાસ કર્યો. વિજેતા ઝાંસી હિરોઝનું તેમના વતનમાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.

   ૧૯૩૫માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ ૪૩ મેચમાં ૫૮૪ ગોલ કર્યા. તેમાંથી ૨૦૧ ગોલ ધ્યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં ઓસ્ટ્રેલીયાના એડિલેઈડ ખાતે મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને પણ ધ્યાનચંદની રમત નીહાળી. મેચ પૂરી થયા પછી ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયેલા બ્રેડમેને કહ્યું કે ધ્યાનચંદ તો ક્રિકેટમાં રન બનતા હોય તે રીતે સરળતાથી ગોલ કરે છે.

   ૧૯૩૬માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી.

   ધ્યાનચંદે આ ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. ધ્યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જર્મની સામે પરાજય થયો. પરંતુ ઓલમ્પિક શરૂ થતા જ ધ્યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય ટીમે ફાઈનલમાં ફરી એકવાર જર્મનીનો સામનો કરવાનો હતો. મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી.

મેદાન પર ખેલાડીઓએ પણ તેમના દેશપ્રેમનો પરચો આપતા જર્મન ટીમને ઉપરાછાપરી ગોલથી રગદોળી નાંખી. પહેલા હાફમાં ૧-૦થી આગળ રહેનાર ભારતીય ટીમે બીજા હાફમાં ૭ ગોલ કર્યા. જર્મન ટીમ ૬-૦થી પાછળ હતી તે વખતે ટીમને શરીર દ્રારા ભારતીય ટીમની રમતનો જવાબ આપવાનું નક્કી કર્યુ હતું એવું કહેવાય છે. જર્મની ટીમના ખેલભાવના વિહોણા વલણને લીધે મેજર ધ્યાનચંદનો એક દાંત તૂટી ગયો. જો કે તેમણે તેમની રમતથી જવાબ આપવાનું ચાલુ રાખ્યું. ધ્યાનચંદના ૬ ગોલની મદદથી ભારતે ૮-૧ના મોટા અંતરે વિજય મેળવ્યો. ફાઈનલ મેચ નીહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. તે પણ ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો. ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના ૩૮માંથી ૧૧ ગોલ કર્યા. જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદે ભારતના ૧૭૫માંથી ૫૯ ગોલ કર્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ૪૨ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ ૨૨ મેચમાં ૬૧ ગોલ કર્યા.

           

   ૧૯૩૬માં બર્લિન ઓલિમ્પિકની હોકી ફાઈનલ મેચમાં મેજબાન જર્મની અને ભારતની ટક્કર થઈ રહી હતી. મેજર ધ્યાનચંદની ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન બાદ તાનાશાહ હિટલરે ધ્યાનચંદને જર્મનીની નાગરિકતા અને સેનામાં મોટો હોદ્દો આપવાની રજૂઆત કરી હતી. તેમણે ધ્યાનચંદને જર્મની તરફથી રમવાની ઓફર પણ આપી હતી પરંતુ ધ્યાનચંદ હંમેશા ભારત તરફથી રમવા માટે ગૌરવ સમજતા. હોકી પ્રેમી દેશ વિયનામાં ધ્યાનચંદની ચાર હાથમાં ચાર હોકી સ્ટિક સાથે એક મૂર્તિ લગાવી અને દેખાડ્યું કે ધ્યાનચંદ કેટલા જબરદસ્ત ખેલાડી હતા.

બ્રેડમેન અને ધ્યાનચંદની મુલાકાત

   ક્રિકેટમાં ડોન બ્રેડમેન મહાન છે અને એક સંયોગ છે કે જગતની આ બે હસ્તીઓનો જન્મદિવસ બે દિવસના અંતરમાં જ છે. દુનિયા ૨૭ ઓગસ્ટ ડોન બ્રેડમેન ના જન્મદિવસને ઉજવે છે જયારે ૨૯ ઓગસ્ટ ધ્યાનચંદને નમન કરે છે. ભારતનો ખેલ દિવસ ૨૯ ઓગસ્ટ એટલે કે ધ્યાનચંદના જન્મદિવસ નિમિતે રાખવામાં આવ્યો છે. બ્રેડમેન અને ધ્યાનચંદ પોતપોતાની રમતમાં માહિર હતા અને આ બન્ને હસ્તી ફક્ત એક જ વાર મળ્યા હતા.

 

   ૧૯૩૫માં જયારે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી તે સમયે ભારતનો એક મેચ એડિલેડમાં હતો અને ત્યાં બ્રેડમેન રમવા માટે આવ્યા હતા. બ્રેડમેન અને ધ્યાનચંદ ત્યારે એક બીજાને પ્રથમ અને અંતિમ વખત મળ્યા હતા. બ્રેડમેને હોકીના જાદુગરના વિશે ટિપ્પણી કરીને કહ્યું હતું કે “તેઓ એવી રીતે ગોલ કરે છે જે રીતે ક્રિકેટમાં રન બનાવતા હોય.” આમ ધ્યાનચંદનો કેફ બ્રેડમેન ઉપર પણ ચડી ગયો હતો.

   ૧૯૪૮માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક.

   ૧૯૫૬માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું ૧૯૭૯ની ત્રીજી ડિસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ થયું. દેશ માટે ઓલમ્પિક ગોલ્ડ મેડલ હાંસલ કરનાર આ ખેલાડી પાસે તેની બિમારીના સમયે સારવારના પણ પૈસા નહોતા. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.

  છેલ્લા કેટલાક વર્ષોથી માંગ ઉઠી છે કે ધ્યાનચંદને ભારતરત્ન થી સન્માનિત કરવા જોઈએ ખાસ કરીને રમતજગતના પ્રેમીઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે ભારતીયોને પોતાની રમતથી બધાને એટલા બધા પ્રભાવિત કર્યા હતા કે, તેમના જન્મદિવસને જ ખેલ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ ગઈ જે અત્યાર હજુ અકબંધ છે.