કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે વલસાડના રમણીય તિથલ બીચને સહેલાણીઓ માટે માર્ચથી બંધ કરી દેવાયા બાદ સાડા છ માસના અંતે બીચ ખુલ્લો મૂકવા કલેકટરે મંજૂરી આપતા લાંબા સમયથી સહેલાણીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુરૂવારે તિથલ ગ્રામપંચાયતને બીચ ચાલુ કરવાની મંજૂરી સાથે કોવિડ-19ની માર્ગદર્શિકાનો કડકાઇથી અમલ કરવા સૂચના અપાઇ હતી. સહેલાણીઓ ભીડ ન કરે અને કોવિડ નિયમોના પાલન માટે પોલિસ તંત્રની બીચ ઉપર બાજ નજર રહેશે.

     દેશમાં કોરોના સંક્રમણ રોકવા માટે સરકારે માર્ચમાં લોકડાઉન જાહેર સ્થળો પર્યટક ધામો અને હરવા-ફરવાના સ્થળો બંધ કરવા જાહેરનામુ બહાર પાડતા તિથલ બીચ 22 માર્ચ પહેલાથી બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકડાઉનમાં બીચ ભેંકાર બની ગયું હતું. પોલિસે બીચ ઉપર જતાં રોકવા માટે પોલિસ બંદોબસ્ત તૈનાત કરી દેતાં સહેલાણીઓ છેલ્લા સાડા છ માસથી વલસાડના તિથલ સમુદ્રી બીચ ઉપર જઇ શક્યા ન હતા. છેવટે સરકાર દ્વારા જૂન જૂલાઇથી અનલોકની પ્રક્રિયા શરૂ કર્યા બાદ છુટછાટો અપાઇ હતી, પરંતુ બીચ સહિતના જાહેર મનોરંજનના સ્થળો પર પ્રતિબંધ હતો. જો કે હવે નિયંત્રણો થોડા હળવા થતાં વલસાડ કલેકટર રાવલે શુક્રવારે તિથલ ગ્રામપંચાયતને બીચ ખુલ્લો મુૂકવાની મંજૂરી આપી દીધી હતી.

    કલેકટરે ફરજિયાત માસ્ક, સોશ્યિલ ડિસ્ટેન્સ સેનિટરાઇઝિંગ જેવી કોવિડ-19ની ગાઇડલાઇન અને એસ.ઓ.પીની કડક શરતોને આધિન પરવાનગી આપતા લાંબા સમયના અંતરાલ બાદ તિથલ બીચ શનિવારથી ખુલી જશે. તિથલ ગ્રામપંચાયત અને લારીગલ્લાના કેબિન ધારકો સાથે શુક્રવારે મોડી સાંજે બેઠક બોલાવી સરપંચ રાકેશ પટેલ અને સભ્યોએ કડક શરતોને આધિન કલેકટરે આપેલી પરવાનગી અંગે તેનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી હતી. બીચ ઉપર તિથલ ગામના 80 થી 90 જેટલા લારી ગલ્લાધારકો સાથે મિટીંગ થઇ છે. માત્ર પાર્સલ સેવા જ અપાશે. કોવિડ-19 ના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની સૂચના આપી છે. સહેલાણીઓ સહિત કોઇ પણ નિયમોનો ભંગ કરતા પકડાશે તો રૂ.500થી રૂ.1000 હજારના દંડની વસુલાત થશે. તિથલ પ્રવાસન સમિતિ,પંચાયત સભ્ય

    વલસાડના કલેકટર રાવલના જણાવ્યા અનુસાર લાંબા સમયબાદ વલસાડ તિથલ બીચ ખુલ્લો કરવા પરવાનગી આપી છે. તિથલ ગ્રામપંચાયતને જરૂરી કાર્યવાહી કરવા જણાવી કોવિડ-19 અને એસઓપીની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી છે. પોલિસ તંત્ર પણ સતત વોચ રાખશે. સહેલાણીઓ, લારીગલ્લાવાળા દ્વારા સોશ્યિલ ડિસ્ટેન્સ, માસ્ક જેવા ફરજિયાત નિયમોનો ભંગ કરાશે તો આકરા નિર્ણયો લેવામાં આવશે.