વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામ્યો છે ત્યારે બંને પાર્ટીઓ દ્વારા કપરાડા વિધાનસભાને કબજે કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે.ભાજપની જેમ હવે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને કપરાડા વિધાનસભા બેઠક પર પ્રચાર માં ઉતાર્યા છે. જેમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા માટે પ્રચાર કર્યો હતો.

     આજે અમિત ચાવડાએ કપરાડાની બેઠક પર નાનાપોંઢામાં એક જાહેર સભાને સંબોધી હતી. સભામાં કપરાડા બેઠક  કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસ અગ્રણી નેતાઓએ લોકોને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ હંમેશા આદિવાસીઓની હમદર્દ રહ્યું છે. જ્યારે ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી અનેક મુદ્દે આદિવાસીઓ પર અન્યાય અને અત્યાચાર થતો હોવાના આક્ષેપો કરી કર્યા હતા. આ પેટા ચૂંટણીમાં કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસને જંગી લીડથી જીતાડવા માટે લોકોને અને કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું. મીડિયા સાથેની વાતમાં ચાવડાએ અનેક મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સ્મૃતિ ઈરાનીએ મોરબીમાં જાહેર સભામાં કોંગ્રેસ પર કરેલા આક્ષેપનો વળતો જવાબ આપ્યો હતો.

     આગામી સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવી રહ્યા છે ત્યારે રાજ્યભરના આદિવાસીઓને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ મહારાજે આદિવાસીઓની જમીન ગઈ છે તે આદિવાસીઓને ન્યાય અપાવવા માટે વડાપ્રધાન મોદી જ્યારે કેવડીયા આવે એ વખતે ગુજરાતમાં આદિવાસીઓને કેવડીયા કૂચ કરવા હાકલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેવડીયા આવશે એ વખતે કોંગ્રેસ આદિવાસી અને સાથે રાખી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માં જે આદિવાસીઓને અન્યાય થયો છે તે આદિવાસીઓને તેમના હક્ક અને અધિકાર અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપશે તેવી જાહેરાત પણ કરી હતી.

    વધુમાં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં થયેલા વિલંબના મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે તમામ સાથે પરામર્શ કરી અને યોગ્ય સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં આવશે. આમ કપરાંડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જોરદાર ટક્કર જામી છે. અને બંને પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ નો દોર તેજ બની રહ્યો છે હવે જનતા શું નિર્ણય કરશે તે આવનારા દિવસોમાં સામે આવી જશે.