દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત કરી હતી કે 2022માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અમે લડીશું અને જીતીને બતાવીશું. તેમણે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે દિલ્હીમાં જે સગવડો મળે છે એ ઉત્તર પ્રદેશમાં કેમ ન મળી શકે. અમે ઉત્તર પ્રદેશને આંતરરાષ્ટ્રી સગવડો આપીશું.

તેમણે એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધી ઉત્તર પ્રદેશે ગંદી રાજનીતિ જોઇ છે. અમે સ્વચ્છ વહીવટ આપીશું. અમે દરેક મહોલ્લામાં દવાખાના, મફત પાણી અને મફત વીજળી આપીશું. દેશના સૌથી મોટા રાજ્યની દુર્દશા તો જુઓ. દેશનાં સૌથી ગરીબ રાજ્યોમાં એની ગણના થાય છે. અમે એ પરિસ્થિતિ સુધારીશું.

કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે દિલ્હીમાં ઉત્તર પ્રદેશના ઘણા લોકો રહે છે. એ લોકોએ મને અપીલ કરી હતી કે તમે જેવી સગવડો દિલ્હીના રહેવાસીઓને આપો છો એવી ઉત્તર પ્રદેશના લોકોને પણ મળે એવું કંઇક કરો. મેં તેમને વચન આપ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડીને વિજયી થઇશું પછી તમે જોજો, દિલ્હી જેવી તમામ સગવડો તમને મળશે.