દેશમાં થોડા દિવસોમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે. તે પહેલા જ નેતાઓના નિવેદનો સતત આવ્યા છે. હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ હાલ કોરોનાની રસી મૂકાવશે નહીં. તેમણે કહ્યું કે પહેલા જે ગ્રુપને નક્કી કરાયા છે તેમને રસી મૂકવામાં આવશે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોરોના રસી અંગે તૈયારીઓ ચાલુ છે. મેં નક્કી કર્યું છે કે હું હાલ રસી મૂકાવીશ નહીં. પહેલા બાકીના લોકોને રસી મૂકાય, ત્યારબાદ મારો નંબર આવે. જેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમને રસી મૂકાઈ જાય પછી મારો નંબર આવે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ અંગે કેટલીક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. જે મુજબ કોરોના રસીને શરૂઆતમાં હેલ્થ વર્કર, પછી ફ્રન્ટલાઈન વર્કર, 50 થી વધુ ઉંમર વાળા લોકો અને ગંભીર બીમારી વાળા લોકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રાથમિકતા મુજબ શરૂઆતમાં 30 કરોડ લોકોને રસી લગાવવાની વાત કરી રહી છે.

દેશમાં હાલ બે કોરોના રસીને મંજૂરી અપાઈ ચૂકી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. હવે જલદી દેશવ્યાપી રસીકરણનો પ્રોગ્રામ શરૂ થઈ જશે. જો કે સતત રસી મૂકાવવા અને ન મૂકાવવા પર નિવેદન આવી રહ્યા છે. જેના કારણે રાજકારણ ગરમાયું.