ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેચ ડ્રો કરાવવામાં આર અશ્વિન અને હનુમા વિહારીએ મોટું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારી અને અશ્વિને 256 બોલમાં 62 રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે 3 કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી.

હનુમા વિહારીની આ ઈનિંગ પર આઈસીસી પણ ફિદા થયું હતું. આઈસીસીએ ટ્વિટ કરીને સિડની ટેસ્ટને ડ્રો કરાવવા માટે હનુમા વિહારીના લડાયક મિજાજને સલામ કરી હતી. ઉપરાંત દ્રવિડને બર્થ ડે ગિફટ આપી હોવાનું લખ્યું હતું. ચાર મેચની સીરિઝ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ જે જીતશે તેના નામે સીરિઝ થઈ જશે.

હેમસ્ટ્રિંગની ઈંજરીનો સામનો કરી રહેલા હનુમાએ 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા જ્યારે પ્રથમ ઈનિંગમાં પેટ કમિંસના બોલ પર ઘાયલ થનારા પંતે 118 બોલમાં આક્રમક 97 રન ફટકાર્યા હતા. પુજારાએ 205 બોલમાં 77 રન બનાવ્યા હતા. અશ્વિન પણ 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ તમામે ઓસ્ટ્રેલિયાની જીતવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.