વિશ્વભરમાં વિરોધ થયા બાદ વોટ્સએપ ભાનમાં આવ્યું છે. નવી પ્રાઈવસી પોલિસીને લઈને વોટ્સએપ સામે સવાલો ઊભા થયા હતા અને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે વોટ્સએપે પોતાની પ્રાઈવસી અપડેટ કરવાનો પ્લાન સ્થગિત કર્યો. જયારે આજે વોટ્સએપે તમામ યુઝર્સ માટે એક ખાસ સ્ટેટસ સેટ કર્યું છે. જેમાં તેની નવી પોલિસી અંગે ખુલાસો કર્યો છે.

વોટ્સએપે તમામ યુઝર્સની એપમાં એક ખાસ સ્ટેટસ સેટ કર્યું છે. સ્ટેટસના માધ્યમથી વોટ્સએપે નવી પોલિસી અંગે ખુલાસો કર્યો છે. વોટ્સએપે પોતાના યુઝર્સને સ્ટેટસના માધ્યમથી કહ્યું કે, નાગરિકોના ડેટાની પ્રાઇવેસી માટે તેઓ બંધાયેલા છે. વોટ્સએપ દ્વારા યુઝર્સના પર્સનલ વોઇસ ચેટ કે મેસેજ પર નજર રાખવામાં નથી આવતી. વોટ્સએપ દ્વારા યુઝર્સના શેર કરેલા લોકેશન પર પણ નજર રાખવામાં આવતી નથી. વોટ્સએપ દ્વારા યુઝર્સની કોન્ટેક્ટ ડિટેઈલ ફેસબૂક સાથે શેર નથી કરાતી.

વોટ્સએપે પોતાના જવાબમાં દરેક યુઝર્સ માટે આ સ્ટેટસ મૂક્યું છે. જે પણ યુઝર એકવાર તેને જોઈ લે છે, તેના બાદ તે ગાયબ થઈ જાય છે. મહત્વનું છે કે, આંખવિશ્વમાં વોટ્સએપના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે. ભારતમાં વોટ્સએપના યુઝર્સનો આંકડો 40 કરોડથી વધુ છે. આમ, મોટાપાયે બહિષ્કાર બાદ વોટ્સએપના વળતા પાણી થયા છે. ફેસબુકની માલિકી વાળી મેસેજિંગ એપ વોટ્સએપે જાહેરાત કરી છે કે, તેણે પ્રાઇવેસી અપડેટ કરવાનો પોતાનો પ્લાન હાલ માટે સ્થગિત કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે તેનાથી યૂઝર્સને પોલિસી વિશે જાણવા અને તેની સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે. વોટ્સએપે જણાવ્યું કે, તેનાથી લોકો વચ્ચે ફેલાયેલી ખોટી જાણકારીથી વધતી ચિંતાઓને કારણે પ્રાઇવેસી અપડેટ ટાળવાનો નિર્ણય કર્યો છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) વોટ્સએપ અને ફેસબુકને નવી પ્રાઈવસી પોલિસીને નકારી કાઢવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. કૈટ પોતાની અરજીમાં કહ્યું કે, વોટ્સએપની પ્રસ્તાવિત પ્રાઈવસી પોલિસી ભારતના સંવિધાનના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.