સુરત: રાજ્યમાં કોરોના વાયરસનું કહેર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં છે. આજ કારણે સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામું બહાર પાડયું હતું.

આ જાહેરનામું 30 માર્ચથી 13 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે. સુરતમાં 4થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર, જાહેરમાં ઉશ્કેરણી કરે અથવા તો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે.

જાહેરનામાં નક્કી કરાયેલા સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનારને શિક્ષાને પાત્ર ગણવામાં આવશે .