ગોધરા: આજરોજ ગોધરામાં સુથાર લુહાર સમાજની વાડી ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની પાર્ટીના અગામી આયોજનોને લઈને મિટિંગ યોજાઈ હતી જેમાં પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર નવ નિયુક્ત પદાધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપવા ગુજરાત પ્રદેશ પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, દાહોદ જિલ્લા પ્રમુખ ભાનુપ્રસાદ અને મહિસાગર જિલ્લા પ્રમુખ પ્રશાંત ગુર્જર સહિત તમામ જિલ્લા, તાલુકા, શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ અને તમામ પદાધિકારીઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવનું સંગઠન મંત્રી દર્શન વ્યાસે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાનું તથા શહેર પ્રમુખ અજય વસંતાનીએ પ્રદેશ સંગઠન મંત્રીનું તથા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજાએ આવેલા મહેમાનનું ફુલગુચ્છથી સ્વાગત કર્યું હતું. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ પદાધિકારીઓ સાથે સંવાદ સાથે સંબોધન કર્યું હતું. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ કાર્યકરોને જન સંવેદના યાત્રા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેના સુચારું આયોજન થાય તે માટે માહિતગાર કર્યા હતા. પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવે જિલ્લા, તાલુકા, શહેર, વોર્ડ, બુથ લેવલ પર સંગઠન તૈયાર કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું અને મજબૂત સંગઠન બનાવી વિધાનસભાની તૈયારી કરવા જણાવ્યું છે. પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડાજીએ આભારવિધિ કરી હતી.